Monday 14 June 2021

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

 

# ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ #

હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.
        ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્યકલાકાર.)

મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી ઘણીવાર
'તે પ્રાણી જેવી હરકતો કરે છે. તેમાંની એક
છે, ‘જાહેરમાં શિવામ્બ વિસર્જન કરવું તે.”
               જાહેર સ્થળે સરાજાહે૨, શિવામ્બુધારા
વહેવડાવનારને તમે ટપારશો કે, ‘અલ્યા ! અહીં
‘આ’ કરાય ?!” તો તે સામો ચોંટશે કે, ‘તો ક્યાં
કરાય?’ ‘ફૂલ પ્રેશરથી લાગી હોય તો શું કરવું?”
આવી ઘણી બધી દલીલો થાય એટલે આપણને
પણ વિચાર આવે કે જાતકના જવાબમાં કડવું
સત્ય પણ છે જ ! જેમ બારે મેઘ ખાંગા થયા હોય
એવી સ્થિતિ હોય અને ગમે ત્યારે મામલો બીચકે
તેમ હોય તથા નજીકમાં ક્યાંય સુલભ શૌચાલય
ન હોય તો શું કરવું ?! એમ તો દરેક માણસમાં
આપણે એટલી શ્રદ્ધા તો રાખી જ શકીએ કે
એણેય રોકાય ત્યાં સુધી તો રોક્યું જ હશે, જીવ
પર આવી જઈને ય તેણે એ ધસમસતા પ્રવાહને
ખાળવાની કોશિશ તો કરી જ હશે. પણ હવે
જ્યારે વાત અંતિમ તબક્કાએ પહોંચી ચૂકી હોય,
અંદરના શિવામ્બુ સંચયે ભયજનક સપાટી વટાવી દીધી હોય, પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય તથા ગમે ત્યારે ગમે તે થઈ શકે તેમ હોય ત્યારે જાતકે જે તે સ્થળનો સદુપયોગ કરી લેવો પડતો હોય છે કારણ કે ચિક્કાર લાગી હોય અને બાજી સંપૂર્ણપણે ઉપરવાળાના હાથમાં હોય છતાં ઉત્સર્જનકેન્દ્ર નજરે ન ચડે ત્યારે પામર માનવી બિચારો શું કરે ? તેથી જ અમારું માનવું છે કે શહેરોમાં અમુક અમુક જગ્યાએ
સ્થળોનું દિશાસૂચન કરતાં બૉર્ડ હોય છે. તેમાં ઉત્સર્જનકેન્દ્ર કઈ દિશામાંઅને કેટલા અંતરે છે તે પણ અચૂક દર્શાવવું જોઈએ.
              જોકે હવે એવા મોબાઇલ આવી ગયા છે કે તમે જે તે સ્થળે ઊભાહો ત્યાંથી યૂરિનલ સર્ચ કરી શકો અને મોબાઇલ ચીંધ્યા માર્ગે તમે મંજિલ સુધી પહોંચી શકો. આવા સમયે આપણને ભલે એક-એક કદમ સો સો ગાઉનું લાગે છતાં એ સઘળું કષ્ટ ઉઠાવીને આપણે છેક મંજિલની સાવ
નજીક પહોંચીએ અને ત્યાં આજુબાજુમાં ચહેરા પર અસીમ શાંતિ ધારણ કરીને બેઠેલા મનુષ્યને ટચલી આંગલી ઊંચી કરીને પૂછીએ કે પેલું ક્યાંછે ? સામેવાળો તરત સમજી જાય કે ભારત દેશના પ્રબુદ્ધ નાગરિક શાંતિનો રાહ ઝંખે છે. આવા સમયે જ આપણને વિચાર આવે કે ભગવાને આપણને
ટચલી આંગળી ન આપી હોત તો ?! બાણવિદ્યામાં જેટલું મહત્ત્વ અંગૂઠાનું છે એનાથીય અદકેરું મહત્ત્વ અત્રે ટચલી આંગળીનું છે. આવું પૂછતી વખતે આપણી ટચલી આંગળી પણ ‘ટચલી આંગળીએ વા’લે ગોવર્ધન તોળ્યો”ના જેટલું કષ્ટ ઉઠાવે છે. કારણ કે હવે પછીની એક-એક ક્ષણ અમૂલ્ય
હોય છે. હવે બધું જ ટચલી આંગળીના ટેરવે તોળાઈ રહ્યું હોય છે. પરિસ્થિતિ એટલી બધી વિસ્ફોટક હોય છે કે આપણે સામેવાળાને શાબ્દિક અને સાંકેતિક એમ બંને રીતે ભારપૂર્વક પૂછીએ છીએ કે પેલું ક્યાં છે ?’ એટલે સામેવાળો સમજી જાય છે કે મુસાફર મરણિયો બનીને જાત સાથે જુદ્ધ ખેલી રહ્યો છે. પછી તરત જ તે કહે છે કે મુતરડી તો સામે પેલા ખૂણામાં જ હતી. પણ હવે અહીં ઓવરબ્રિજ બનવાનો છે એટલે અઠવાડિયા પહેલાં જ મ્યુનિસિપાલિટીએ તેને તોડી પાડી છે. આ સાંભળીને જાતકને જબરો આધાત લાગે છે અને તેની આશાનું છેલ્લું કિરણ પણ આથમી જાય છે.કરણ કે મોબાઇલવાળા માહિતી અપડેટ કરતા નથી તેથી અણીના સમયે નાગરિકે કેટકેટલું સહન કરવું પડે છે ! આ મુદે મ્યુનિસિપાલિટી પર દીવાની દાવો પણ માંડી શકાય.
હવે, જાતકની પરિસ્થિતિ મૈ ઇધર જાઉં યા ઉધર
જાઉં'ની હોય છે. આવા સમયે જાતકનો આત્મા પોકારી ઊઠે છે કે તોડનારાએ મુતરડી નથી તોડી પણ વ્યથિત મનુષ્યનો વિસામો તોડ્યો છે.તોડનારો સાત સાત ભવ સુધી પ્રોસ્ટેટની પીડા ભોગવશે. કારણ કે હવેદબાણનું દમન કરવું એ બાલકૃષ્ણએ નાગદમન કર્યું હતું તેનાથીય કપરું હોય
છે.
              મહાન પુરુષો જે રીતે મૃત્યુ પછી પણ અમર થઈ જાય છે એ જ રીતે આવા ઉત્સર્જનકેન્દ્ર તૂટ્યા પછી પણ અમર થઈ જાય છે. કારણ કે તૂટેલાંઉત્સર્જનકેન્દ્રની જગ્યાએ લોકો "મૂળ પ્રવૃત્તિ" ચાલુ રાખે છે. આમ તૂટેલાં
ઉત્સર્જનકેન્દ્રની દીવાલની સમાંતરે આ સ્વહિતની પ્રવૃત્તિ ચાલતી રહે છે.તેથી ‘મુતરડી તો તૂટી ગઈ” એવું કહ્યા પછી જાતકને ઘોર નિરાશામાં ડૂબેલો જોઈને પેલા ભાઈ કહે છે ‘અરે, એમાં મૂંઝાવ છો શું કામ ? સામે જઈ
આવો તમતમારે ! ત્યાં બધા જાય છે.” આવા પ્રેરક  પરિબળોને કારણે ઉત્સર્જનકેન્દ્રનું મૂળસ્થાન લોકહૃદયમાં સચવાઈ રહે છે. કારણ કે મુતરડી તૂટી છે પણ તે સ્થળ પરની લોકોની શ્રદ્ધા હજુ તૂટી નથી. વીર વિક્રમની
પેલી વાર્તા છે ને કે એક દાનવીરના દટાયેલા સિંહાસનવાળી જગ્યા પર પગ મૂકતાં જ પેલો લોભી માણસ દાનવીર બની જતો. એવો જ પ્રભાવ કદાચ આ તોડી પાડવામાં આવેલી મુતરડીની જગ્યાનો હોય છે. અહીં પગ મૂકતાં જ ઘણા આળસુ મનુષ્યોમાં પણ શિવામ્બુનો સંચાર થાય છે. કેટલાક
લોકો વીર વિક્રમની વાર્તાના પાત્રો જેવા હોય છે. તેમને ખરેખર અંદરથી આદેશ થયો હોતો નથી પણ ઉત્સર્જનકેન્દ્રના કવરેજ ક્ષેત્રમાં આવતાં જ
તેમને અલૌકિક પ્રેરણા થાય છે અને તેઓ ભાવવિભોર થઈ જાય છે કે ચાલોને જઈ આવીએ ! "આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે.” અંતે પ્રેરણાદાયી વિચારોનો વિજય થાય છે. પછી તરત જ પ્રેરણાનું ઝરણું
પ્રગટ થાય છે. જેમ કેટલાક મનુષ્યો મંદિર સામેથી પસાર થતી વખતે અચૂક નમસ્કાર કરીને જે તે દેવસ્થાનને આદર આપે છે એ રીતે જ કેટલાક લોકો મુતરડી પાસેથી પસાર થતી વખતે ત્યાં ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી'ના
ધોરણે યથાશક્તિ ફાળો અર્પી સ્થળને માન આપે છે. એકવાર એક નાટ્યકારને આ રીતે વારંવાર જતા જોઈને મેં એક મિત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી તો તેમણે કહ્યું કે એ તો રિહર્સલ કરે છે. કેટલાકને આવી ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરતાં જોઈને આપણને થાય કે તેમનામાં હજુ શ્વાનનો
આત્મા ભટકી રહ્યો છે.
          કેટલાક બૌદ્ધિકો એવો સવાલ ઉઠાવે છે કે ઉત્સર્જનકેન્દ્ર હોય એટલે લાગે જ એવું શક્ય નથી. એ તો બધું કુદરતના હાથમાં છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએતેઓ સાચાં છે પણ અહીં ફક્ત બુદ્ધિથી જ નહીં પણ હૃદયથી કામ લેવાનુંછે. બાકી અહીં તો જેવી જેની શ્રદ્ધા ! એટલેસ્તો કહ્યું છે ને ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને.’ આમાં તો એકવાર માણસ શ્રદ્ધા મૂકે એટલે શ્રદ્ધા ફળે છે અને સમય જતાં આખું ઉત્સર્જનતંત્ર એ રીતે કેળવાઈ જાયછે. પછી તો ઉત્સર્જનકેન્દ્ર જોતાં જ જાતકને બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.
         કેટલાક લોકો પોતાની જાતમાં જ શ્રદ્ધા ધરાવતા નથી. આત્મવિશ્વાસવગરના લોકોનો આ સાવ અનોખો વર્ગ છે. જેમ કેટલાક આરોપીઓઆગોતરા જામીન મેળવી લે છે, એ જ રીતે કેટલાક લોકો બહાર જતાંપહેલાં આગોતરું ઉત્સર્જન કરી નાખે છે. આ રીતે તેઓ ઉદ્દવેગમુક્ત થઈ
જાય છે. આવા લોકોને સતત એવો ભય હોય છે કે બસમાં બેસીશું ને લાગશેતો ?’ ‘કથામાં જઈશું ને લાગશે તો ?’ ‘આધારકાર્ડની લાંબી લાઇનમાંનિરાધાર બનીને ઊભા હોઈશું ને લાગશે તો ?’ ‘વક્તવ્ય આપવા ઊભાથઈશું ને લાગશે તો ?’ વરરાજાને થાય કે “મંગળફેરા શરૂ થશે ને લાગશે
તો ?’ આવા અજ્ઞાત ભયને કારણે તેઓ લાગી ન હોય તો પણ લગાડે છેઅને જઈ આવે છે. કાળક્રમેતેમનુંઉત્સર્જનતંત્ર કહ્યાગરું બની જાય છે. તેમના ઉત્સર્જનતંત્રના સ્વયંવર્ણી સ્નાયુઓ પણ સમય જતાં ઇચ્છાવર્તી સ્નાયુઓ બની જાય છે. જો કે આવા લોકો સમાજને ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ ખાણી-પીણીના શોખીનોને શહેરમાં ક્યા કયા સ્થળે, શું શું સારું ખાવાનું મળે છે તેના સરનામાં જીભને ટેરવે હોય છે, એ જ રીતે આવા ભીરુ મનુષ્યોને કોઈ પણ મંદિર, કથા, સ્થળ, ઑફિસ, ચોક, બસસ્ટોપ, હૉટેલ કે પોલીસ સ્ટેશનની નજીકમાં યુરિનલ કયાં ઉપલબ્ધ છે તેના પાક્કા સરનામાં તેમના કાળજે કોતરાઈ ગયા હોય છે. આ ઉપરાંત યૂરિનલની અવેજીમાં કયા કયા સ્થળે કચરાપેટી, મકાનનો ખાંચો, અવાવરુ ડેલો,સરકારી દીવાલ કે ઝાડી-ઝાંખરા જેવા મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે તેની વિગતો પણ જીભને ટેરવે હોય છે.
              કેટલાક લોકો ઘરની બહાર નીકળ્યા પછી એકી-પાણી જવાના મુદે આજીવન મૂંઝાતા રહે છે. તેનાથી સાવ બીજે છેડે રહેલો એક વિશિષ્ટ વર્ગ છે. આ લોકો ઉત્સર્જનના મુદ્દે લેશમાત્ર મૂંઝાતા નથી. તેઓ ઘર બહાર
નીકળ્યા પછી ક્યારેય યૂરિનલના અસ્તિત્વ વિશે ચિંતા કરતાં નથી. આ લોકો અન્યને મૂંઝવનારાના વર્ગમાં આવે છે. તેથી તેમને જ્યારે લાગે છે.ત્યારે તેઓ ‘સબ ભૂમિ ગોપાલ કી' ના ધોરણે પતાવે છે. તેઓ માને છે કે//
5
કંઈ પણ સર્જન કરવા માટે વિચાર કરવાનો હોય, વિસર્જન માટે વિચારની શી જરૂર ! તેથી તેમને લાગે ત્યારે તેઓ ઉત્સર્જનકેન્દ્ર શોધવા જતાં નથી,પણ જ્યાં લાગે તે સ્થળને જ ઉત્સર્જનકેન્દ્ર બનાવી દે છે. એમને તો ‘ચરણ
રુકે ત્યાં કાશી !' અને ભોજન જમાડે તે માસી" આનાથી એક ડગલું આગળ વધીને કેટલાક શખ્સો તો કોઈ પણ સ્થળે આ કાર્યક્રમની સીટી વગાડતા વગાડતાં સંગીતમય રજૂઆત
કરે છે. તેમને જાહેરમાં આગવી શૈલીથી આ રીતે કાર્યક્રમ પેશ કરતાં જોઈને લોકો બે રીતે મૂંઝાય છે. એક તો જે લોકો સહપરિવાર બહાર નીકળ્યા હોય છે તેઓ કહે છે કે આ સાલાને શરમ જેવી જાત નથી ! આવાની તો
કિડનીઓ કાઢીને કાળાબજારમાં વેચી નાખવી જોઈએ.
           એમને જોઈને મૂંઝાનારો બીજો વર્ગ જુદા પ્રકારનો છે. જે હંમેશાં અફસોસ કરે છે કે આપણે પણ પેલાની જેમ જ કોઈ પણ જાતની આશંકા રાખ્યા વગર ગમે ત્યાં લઘુશંકા કરી શકીએ એવો આત્મવિશ્વાસ ધરાવતા
હોત તો કેવું સારું ! કટોકટીની પળે નગરી-નગરી દ્વારે-ધારે ભટકવું તો ન પડત. વળી, તીવ્ર તરસ લાગી હોય તો કદાચ કોઈનું બારણું ખખડાવીને કહી શકાય કે બહેન, જરા એક ગ્લાસ પાણી આપો ને ! પણ આ મુદે કોઈના બારણા ખખડાવી ‘મંગલ મંદિર ખોલો દયામય’ એવું કહી શકાતું
નથી. અમારી હાજરીમાં અમારા એક વડીલે કટોકટીની પળોમાં આવો પ્રયોગ કરેલો ત્યારે બારણું ખોલનારા બહેને બેધડક ‘ના’ પાડી દીધેલી.તેથી વડીલ મોટા નિસાસા સાથે બોલેલા કે ‘હળાહળ કળિયુગ આવી ગયો! માણહમાં દયા જેવો છાંટો નથી રહ્યો !' તેથી જ અમારું માનવું છે કે
ઉનાળામાં જેટલી જરૂર પાણીની પરબોની છે એટલી જ જરૂર શિયાળામાં આવા ‘શાંતિ-પરબો'ની છે. અમારું માનવું છે કે સતયુગમાં પણ આ મુદે કળિયુગ જેવી જ પરિસ્થિતિ હતી. સતયુગમાં અજાણ્યાને રોટલો ખવડાવવા
માટે દરેક ઘરના દરવાજા ખુલ્લા રહેતા. પણ આ મુદે સતયુગમાં કોઈએ જાહેર જનતાના લાભાર્થે પોતાના દ્વાર ખુલ્લા મૂક્યાના દાખલા નથી.આતિથ્ય ભાવનામાં ઉમદા ગણાતું કાઠિયાવાડ પણ આ મુદે કહેતું નથી કે
‘કાઠિયાવાડમાં કો'ક દી, તું ભૂલો પડ ભગવાન.”
            આ બાબતે કેટલાક લોકો આજીવન પ્રેરકકર્તા હોય છે. તેઓ વારંવાર પોતાના મિત્રો, સગાસંબંધીઓ અને કેટલીકવાર તો અજાણ્યાઓને પણ ભારપૂર્વક સલાહ આપતા હોય છે કે, ‘લાગી હોય તો જઈ આવજો, મૂંઝાતા
નહીં.’ વળી, આવા કુદરતી આવેગને રોકવાથી શરીરને કેટકેટલું નુકસાનથઈ શકે છે તે સદૃષ્ટાંત સમજાવે છે. ધીમે ધીમે તેમની સલાહ આગ્રહમાં ફેરવાઈ જાય છે અને જાતક પર તેની એટલી ઊંડી અસર થાય છે કે છેવટે
જાતકને એવું લાગવા માંડે છે કે હવે નહીં જઈએ તો પેલા મુરબ્બીશ્રીને માઠું લાગશે. એટલે તેમના આત્માની શાંતિને ખાતર પણ તેમણે જવું પડે છે. ટૂંકમાં, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું પડે છે. વળી, વડીલની સલાહ માનીને જાતકના જઈ આવ્યા પછી જાતકના ચહેરા કરતાંય પેલા
વડીલના ચહેરા પર વધુ શાંતિ જોવા મળે છે. કારણ કે તેઓ માને છે કે તેમણે આંગળી ચીંધ્યાનું પુણ્ય કર્યું છે. વળી, તેમની સલાહનો તેમની નજર સામે જ અમલ થયાનો તેમને વિશેષ આનંદ હોય છે. કેટલાક વડીલો આમાંય શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે. તેઓ સલાહ સ્વરૂપે
શરૂઆત કરે છે, છતાં જાતક જ્યારે જરાય સળવળતો નથી ત્યારે જાતકને રીતસર ડરાવે છે કે ‘જઈ આવો, પછી રસ્તામાં ક્યાંય નહીં આવે.’ તેથી કેટલાકને આવા ‘ભયને કારણે લાગે છે.‘ભયને અને ‘લાગવાને’ સીધો સંબંધ છે.
             અહીં વર્ણવ્યા તે તમામ લોકો કરતાં બાળકો તદ્દન જુદા પડે છે. તેને મમ્મી-પપ્પા સહિત ગમે તેટલા લોકો સલાહ આપે, આગ્રહ કરે, ડરાવે છતાં પણ જતાં નથી. પણ જ્યારે બધું જ દુર્લભ હોય અને જવા માટેનો લેશમાત્ર આવકાશ નથી હોતો ત્યારે જ તેઓ કહે છે “મમ્મી, મારે પી.પી.જવું છે, બહુ ફાસ્ટ લાગી છે.' આ મુદે બાળકો હંમેશાં મમ્મી-પપ્પાની અગ્નિપરીક્ષા કરતાં હોય છે અને તેમને પાકો અહેસાસ કરાવે છે કે મા-બાપ બનવું સહેલું નથી. આવી જટિલ પરિસ્થિતિમાં કેટલીક ધીરજવિહોણી મમ્મીઓ બાળકને બે-ચાર વાર જેવું-તેવું સમજાવ્યા પછી ગુસ્સે થઈને
બાળહઠને ઊગતી જ ડામી દેવાનો પ્રયત્ન કરે છે. સામાપક્ષે એટલા જ જોરથી બાળક પોતાનું રટણ ચાલુ રાખે છે. તેથી વધુ ગુસ્સે થયેલી મમ્મી બાળકને ચૂપ કરવા એક-બે ધબ્બા વળગાડે છે અને એ ધબ્બાઓને કારણે જ ‘ઘેરબેઠાં ગંગા’ થઈ જાય છે. અંતે મમ્મીના કર્યા મમ્મીએ જ ભોગવવા
પડે છે. માટે મમ્મીઓએ કટોકટીની પળે મગજ પરથી કાબૂ ગુમાવવો નહીં.બાકી તો આ મુદે આબાલવૃદ્ધ સૌએ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે ભગવાનસૌ સારા વાના કરશે.
    [‘સાહિત્ય સંસદ' (મુંબઈ) આયોજિત હાસ્યલેખન સ્પર્ધામાં
ગુજરાત લેવલે પ્રથમ નંબરે વિજેતા લેખ ]
                   ---નટવર પંડયા.
                        (હાસ્યલેખક-હાસ્ય કલાકાર)
                        મોબા નં.8530669907
                             Blog:-natavarpandya.blogspot.in

Friday 11 June 2021

હાસ્યલેખ...જમાવટ થઈ જાય એવી જીવન ઝરમર.

 હાસ્યલેખ...જમાવટ થઈ જાય એવી 'જીવન ઝરમર.'

                      ---- નટવર પંડયા

                      (હસસ્યલેખક, હાસ્ય કલાકાર)

                        મોબા.ન.8530669907


(સ્વર્ગવાસી થયેલાનું જીવન વૃતાંત છાપામાં "જીવન ઝરમર"રૂપે છાપવામાં આવે છે..તે વિશે  હાસ્યલેખ)


બપોર ના દોઢ વાગ્યે ડોર બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે ચાળીસેક  વર્ષના સાહિત્યિક સજજન  આ મંદીમાં પણ મંદ મંદ મુસ્કુરાતા ઉભા હતા.મેં એમને આવકાર્યા. તેમણે તીર જેવો સવાલ કર્યો,  "તમારા દાદા એટલે કે પ્રાણજીવન દાદા બીમાર છે ને?" 

 મેં કહ્યું,  "હા બીમાર છે અને સિરિયસ પણ છે! પણ તમે કોણ?" 

 "હું જીવન ઝરમર વાળો!"

 મેં કહ્યું , "દાદા ને અત્યારે ડો.રામબાણ ની દવા ચાલે છે એટલે અત્યારે એમના પર બીજી કોઈ ઔષધીનો અખતરો કરવો જોખમી છે"

  સજ્જને કહ્યું,  "હું ઔષધ વાળો નહીં પણ છાપાની "જીવન ઝરમરવાળો" અમરકાન્ત!  કોઈપણ વ્યક્તિને મૃત્યુ પછી પણ અમર બનાવવા એ અમારું કામ. અમે સ્વર્ગસ્થની જીવન ઝરમર ને એવી આકર્ષક અને રસપ્રદ રીતે તૈયાર કરીને છાપામાં છપાવી આપીએ છીએ કે વાંચનારને ય બે ઘડી મરવાનું મન થઇ આવે"

   મેં કહ્યું,  "તો પછી દાદા દેવ થઈ જાય પછી આવજો."

   " દેવ તો વહેલા મોડા થવાના જ છે આવ્યા એ તો જવાના જ છે માટે આપણે અત્યારથી જ જીવન ઝરમર તૈયાર કરી નાખીએ તો!?"

   "પણ આપણે જીવન ઝરમર તૈયાર કરી નાખીએ  અને દાદા 'તૈયાર' ન થાય તો!?"

    "તો  પણ નો પ્રોબ્લેમ! અમે એવી જીવનઝરમર તૈયાર કરીએ છીએ કે ગમે ત્યારે કામ લાગે. તેને સમયના બંધન નથી નડતા. અમે સર્વગ્રાહી જીવન ઝરમર તૈયાર કરીએ છીએ. તેમાં નામ,ઉંમર, સ્વર્ગવાસ ની તારીખ, સ્થળ જેવી જગ્યાઓ ખાલી રાખીએ છીએ. તેથી તમારા ઘરમાંથી જેવા પ્રાણજીવન દાદા જગ્યા ખાલી કરે કે તરત જ તમારે જીવન ઝરમરની ખાલી જગ્યાઓ પૂરી દેવાની અને અમને આપી દેવાની અમે તરત જ તે છાપામાં પ્રગટ કરીશું.વળી અત્યારથી જીવન ઝરમર તૈયાર કરી નાખી હોય તો તમે દાદા ને વંચાવી પણ શકો અને દાદાને આડકતરો સંકેત પણ આપી શકો કે પૂજ્ય દાદા આપની જીવન ઝરમર તૈયાર થઈ ગઈ છે તો તે વહેલી તકે છાપામાં છપાય એવું કંઈક કરો. અમેં તૈયાર કરેલી  જીવન ઝરમર વાંચીને દાદા ખુશ થઇ જશે.વળી અમારી જીવન ઝરમરની વિશેષતા એ છે કે દાદાના ગયા પછી દાદીમા માટે પણ કામ લાગે અને ત્યારબાદ તમારા.....!!"

 "હે...હેં..હેં..એ..એ.. શું..શુ..!" હું ગભરાયો.

 "એટલે  કે બધાને કામ લાગે એવી પરફેક્ટ! મતલબ કે પૈસા વસૂલ. તમારા રોકાણનું અનેક ગણું વળતર."આમ કહી તેણે લગ્નના આલ્બમ જેવી આકર્ષક ફાઈલ ખોલી તેમાંથી જીવન ઝરમરના આકર્ષક નમૂનાઓ અને ફરમાઓ બતાવ્યા અને કહ્યું,  "જુઓ આ  બે હજારવાળી જીવન ઝરમર. આ પાંચ હજારવાળી, આ  આઠ હજારવાળી અને આ સૌથી બેસ્ટ પિસ્તાળીસ હજારવાળી."

  મેં ખચકાટ સાથે કહ્યું,   "પણ જીવન ઝરમરમાં ય જુદા જુદા ભાવ!"

   "હોય જ ને સાહેબ એકવાર વસ્તુ જુઓ, વાંચો નિરાંતે. જુઓ એમાં એવું છે કે આ બે હજારવાળી જીવન ઝરમરથી લોકોને લાગે કે સામાન્ય માણસ સ્વર્ગસ્થ થયો છે પણ જો પિસ્તાળીસ હજાર વાળી પસંદ કરો અને છપાવો તો તે વાંચીને તમે કલ્પના પણ ન કરી હોય એવા મોટા મોટા માણસો, કરોડપતિઓ દાદાના ખરખરે આવે,બેસણામાં આવે. તેમાંથી બે-પાંચ સાથે તમારે સારો કોન્ટેક્ટ થઈ જાય તો તમારો હાર્ડવેર નો ધંધો  જામી જાય.  આમાં તો એક પંથ દો કાજ છે દાદાનો આત્મા ય ખુશ થાય અને આપણે ય ખુશ! આ પિસ્તાળીસ હજારવાળી જીવનઝરમર વાંચ્યા પછી વાંચનારને ખરેખર એમ થાય કે "એમના જવાથી ખરેખર કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે." જો કે કદી ન પૂરી શકાય એવી ખોટ તો જેમના લેણા બાકી રહી ગયા હોય તેને પડી હોય છે આવું હું મનોમન બોલી ગયો.

    મેં કહ્યું,   "પણ દાદાના જીવનમાં એવું કાંઈ ઉલ્લેખનીય ન હોય તો જીવન ઝરમર ક્યાંથી જામેં?"

    અમરકાંતે કહ્યું,   "એ અમારા પર છોડી દો. અહીં તો જાતક પાસે "જીવન" છે તો અમારી પાસે 'ઝરમર' છે બંનેનું કુશળતાપૂર્વક કોમ્બિનેશન કરીએ એટલે પછી એવી ફર્સ્ટ ક્લાસ જીવન ઝરમર બને કે લોકો વાંચતા ન ધરાય. અમે એવી અફલાતૂન અને તર્કબદ્ધ જીવન ઝરમર તૈયાર કરીએ કે જમાવટ થઈ જાય.  'જમાનો જમાવટ કરવાનો છે કોઈપણ રીતે જમાવટ કરતાં આવડે તે જામી જાય' હવે તો જેવા તેવા ની ય જીવન ઝરમર છપાય છે તો આપણા પ્રાણજીવન દાદા કંઈ જેવાતેવા નથી. જુઓને પાંચ પાંચ વર્ષથી યમરાજા સાથે પકડદાવ રમે છે. યમરાજાએ અનેક અખતરા કર્યા તો ય એની કારી ફાવવા દીધી નથી. તો પછી આવા વિરાટ સ્વરૂપની જીવન ઝરમર તો છાપામાં છપાવી જોઈએ ને! વળી આખી જીવન ઝરમર લખીએ તેમાં તમારા ધંધા-બિઝનેસનો કુશળતાપૂર્વક ઉલ્લેખ કરી દઈએ. આવી સરસ જીવન ઝરમર વાંચીને ઓછામાં ઓછા પચીસ-પચાસ જણ તો તમને પૂછવા આવશે કે આ જીવન ઝરમર તમે કોની પાસે તૈયાર કરાવી.પછી તમારા રેફરન્સથી જેટલા અમારી પાસે જીવન ઝરમર માટે આવશે તેમાં વગર કહીએ તમારા 10% લાગી જશે. ચેક તમારે ઘેર આવી જશે.અમારો નિયમ છે. લોકો ભલે કહે કે જીવન ઝરમર એ તો ખાતર માથે દીવો છે પણ જીવનઝરમરને કારણે દાદા જીવતા લાખના ને મર્યા પછી સવા લાખના! બોલો કરવી છે ને!" 

    હું પિસ્તાળીસ હજારવાળી માટે હા કહેવાનો હતો ત્યાં સમાચાર આવ્યા કે દાદાની તબિયત તો ધાર્યા બહાર સુધરી ગઈ છે અને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને તેઓ લાકડીના ટેકા વગર સ્વબળે ચાલી ને ઘેર આવવા રવાના થઇ ગયા છે આ સમાચાર સાંભળીને "દાદાએ દગો દીધો" એવું બબડતો બબડતો જીવન ઝરમરવાળો રવાના થઈ ગયો!

                                  ----નટવર પંડયા.

હાસ્યલેખ..રોટલીમાં ભમરો અને ભાગ્યમાં ભમરો.

 હાસ્યલેખ:- રોટલીમાં ભમરો અને ભાગ્યમાં ભમરો 


    પ્રકૃતિની ગોદમાં કણ્વ ઋષિનો આશ્રમ આવેલો છે. ચારે બાજુ વસંત સોળેકળાએ પૂરબહારમાં ખીલી છે. વાતાવરણ મદહોશ બની ગયું છે. તે સમયે કણ્વ ઋષિના આશ્રમમાં સૌંદર્યસામ્રાજ્ઞિ શકુંતલા ને એક ભમરો પરેશાન કરી રહ્યો છે. ભમરો વારંવાર ઉડી અને શકુંતલા પાસે આવે છે અને  શકુંતલા પર મંડરાય છે. શકુંતલા એ ભમરાને ઉડાડી મુકવા માટે પ્રયત્નો કરી રહી છે. બરાબર એ જ સમયે આશ્રમમાં દુષ્યંત પ્રવેશે છે અને શકુંતલાને ભમરો ઉડાડતી જુએ છે.કદાચ ભમરો  શકુન્તલાને ફૂલ સમજી બેઠો હશે. મહાકવિ કાલિદાસ રચિત 'અભિજ્ઞાન શાકુંતલ' માં આવું વર્ણન છે ભમરો અહીંથી લાઈમલાઈટમાં આવ્યો હોય એવું લાગે છે. ભમરો એ  કંઈક અંશે પુરુષનું પ્રતીક છે.  જો કે  'પુરુષ ભમરા જેવો છે કે પુરુષને ભમરો છે'  તે હજુ સુધી આપણને સમજાયું નથી. હા, કુંવારી કન્યાને ભમરા જેવો પ્રિયતમ ગમે છે જે કન્યા રૂપી પુષ્પ પર મંડરાતો રહે,ગીત ગાતો રહે અને કીધું કરે.આમ કોડીલી કન્યાઓને ભમરા જેવો  પ્રિયતમ ગમે પણ ભમરા જેવો  પતિ ન ગમે. એટલે લગ્ન પહેલા કોડીલી કન્યા (અરે ભાઈ!  દરેક કન્યા કોડીલી જ હોય છે!) પુષ્પ પર મંડરાતો ભમરો જુએ તો  પ્રસન્ન થાય. 

     આવું બધું અમારી વક્ર દૃષ્ટિ થી જોયા પછી દિવસો સુધીના  ગહન મનોમંથનને પરિણામે અમને ભમરાના ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા છે. નંબર એક-' પુષ્પ પરનો ભમરો'    નંબર બે-' રોટલી માં ભમરો'    નંબર ત્રણ-'ભાગ્યમાં ભમરો' અને       'ભમરો નંબર ચાર'  જે વિશિષ્ટ પ્રકારનો છે.

     યુવાનને પણ લગ્ન પહેલા પુષ્પ પરનો ભમરો દેખાય છે. પોતે ફુલ ફટાક થઈને બહાર નીકળ્યો હોય અને પુષ્પ પર બેઠેલા ભમરાને જુએ એટલે જ્યાં તેના શરીરને પહોંચવું જોખમી હોય ત્યાં તેનું મન પહોંચી જાય છે. પણ જો યુવાન 'ફૂલ' થઈને ( પોટલી નાખીને) બહાર નિકળ્યો હોય તો તેને અપુષ્પ વનસ્પતિ પર  ચડેલા કાળા મંકોડા પણ  ભમરા સ્વરૂપ ભાસે છે. આમ લગ્ન પહેલા તેને પુષ્પો પર ભમરો દેખાય છે એવા સમયે તેને દુષ્યંતની જેમ  કોઈ પુરબહારમાં પાંગરતી પુષ્પા નજરે ચડે તો  પોતે જ ભમરો બની જાય છે. પુષ્પ જેવી પુષ્પાને જોઈને પાગલ બનેલો ભમરો જે ગરમાગરમ ગઝલો કે ગીતો  રચે છે તેને  'ભ્રમરગીત 'કહેવાય છે લગ્ન પછી 'ભ્રમર' કે 'ગીત' બેમાંથી એકેય ગોત્યા જડતા નથી. 

         આવો ભ્રમર ગીતો રચીને ફક્ત પુષ્પાને  જ મોકલતો હોય તો વાંધો નહીં પણ મિત્રો ને ય મોકલે. પુષ્પા આવા ભ્રમરગીત વાંચીને ખીલી ઊઠે છે પણ આવા ભ્રમર ગીતો થી ત્રણ પ્રકારના લોકો વધુ ઘાયલ થાય છે. એક તો જે  'ઘરભંગ' થયો હોય તે. બીજું 'જેનું ઘર બંધાયું નથી' તે. અને ત્રીજા 'સાહિત્યની ઊંડી સૂઝ અને સમજ ધરાવતા હોય' તે.

  ભમરો આટલેથી અટકી જાય તો વાંધો નહીં પણ જો ભમરો એ જ પુષ્પા સાથે લગ્ન કરે તો છ મહિનામાં ઘૂમરી ખાઈ જાય.  પછી પુષ્પાને  પ્રિયતમમાં ભમરો દેખાતો નથી અને ભમરને  પુષ્પામાં પુષ્પ દેખાતું નથી. લગ્ન પછી ભમરાને પુષ્પા 'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી' એવી લાગે છે.  પુષ્પામાં પાનખર દેખાવા લાગે છે.  જેમ કોરોનામા એંસી ટકા ફેફસામાં કફ જામી જાય પછી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઓક્સિજન પર રાખવો પડે એવું જ પ્રેમરોગના સંક્રમણમાં થાય છે એનું ઇન્ફેક્શન ફેફસાને બદલે સીધુ જ હૃદયમાં લાગે છે અને તેનું હૃદય પ્રેમરોગથી એકસો દશ ટકા સંક્રમિત થઈ ગયું હોય છે ત્યારે તેને મોજના તોરા છૂટે છે. ચારે બાજુ વસંત ખીલી હોય એવું લાગે છે. પણ જો એ જ પુષ્પાના લગ્ન અન્ય કોઇ નર સાથે થઈ જાય તો પ્રેમરોગ થી પૂર્ણપણે સંક્રમિત થયેલો ભમરો ઓક્સિજન પર આવી જાય છે. લગ્નની સિઝનમાં આવા ઘણા ઓક્સિજન પર આવી જાય છે. પછી પ્રેમરોગની સાઇડ ઇફેક્ટ રૂપે તેના હૃદયમાંથી ગીત પ્રગટે છે………

     "ભમરેને ખિલાયા ફુલ, ફુલ કો લે ગયા રાજકુંવર"            

              અલ્યા રાજકુંવર લઈ ગયો તે બલા ટળી. તું સુખી થઇ ગયો. લગ્ન પહેલા કાંટા વગરના લાગતા  કોમળ પુષ્પમાં લગ્ન પછી કાંટા અનુભવાય છે. જે પછી  પ્રેમરોગથી સંક્રમિત થયેલા ભમરાના  હૃદયમાં ભોંકાય છે વળી ફિલ્મોમાં તો એવું ગીત છે...ભંવરા બડા નાદાન હૈ...પણ એમ કાઈ ભમરો નાદાન હોતો નથી.અને કદરદાન પણ હોતો નથી. તો વળી ગુજરાતીના  મહાકવિ  શ્રી હરીન્દ્ર દવે લખે છે કે...ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં,માધવ ક્યાંય નથી મધુવનમાં...પણ લગ્ન પછી આ ગીત કંઈક આવી રીતે ગવાતું હોય છે….....ફૂલ કહે નવરાને નવરો વાત વહે મૂંઝવણમાં, આનંદ ક્યાંય નથી જીવનમાં….મરાઠીમાં  'નવરો' એટલે 'પતિ' એવો અર્થ થાય છે.જ્યારે ઘણા પતિઓને જોયા પછી ગુજરાતીમાં પણ આ અર્થ ઘણો અર્થસભર લાગે છે.


     આમ લગ્ન પહેલા જે પુષ્પાની આજુબાજુ ભમરો થઈને ભમતો હોય  અને પોતાની જાતને ભાગ્યશાળી  માનતો હોય એ જ ભમરાને લગ્ન પછી રોટલીમાં ભમરા દેખાવા માંડે છે. પુષ્પાને કડક સૂચના આપવાની ઈચ્છા હોય છતાં ઈચ્છા પર કાબૂ રાખીને ( રાખવો જ પડે) તે પ્રેમાળ સ્વરે પૂછે,  'પુશું ડાર્લિંગ, તે કુકિંગ ક્લાસ ન કર્યા હોવા છતાં પણ રોટલીમાં આવા સરસ ભમરા કેવી રીતે પડે છે'.  પુષ્પા પરબારુ વડકું નાખે,  "હવે બડબડ કર્યા વિના ખાઈ લો ને છાનામાના"  એટલે એ પાછો છાનોમાનો ય થઈ જાય.બા રોટલી બનાવતી ત્યારે રોટલી સહેજ પણ દાઝે તો ભમરો તરત  દાઝે ભરાતો. એ જ ભયંકર ભમરો લગ્ન પછી નિત નવા ભમરાવાળી રોટલી પ્રેમથી પુરણપોળીની જેમ આરોગી જતો હોય છે. ધીમે ધીમે એનું મન સ્વીકારવા માંડે કે જેમ "પુષ્પ હોય ત્યાં ભમરો હોય"  એ જ રીતે "જ્યાં રોટલી હોય ત્યાં પણ ભમરો હોય" પુષ્પાની રસોઈકળાની ખૂબી એ હોય છે કે તે રોટલી બનાવતી વખતે મોબાઇલમગ્ન ન હોવા છતાં રોટલીમાં ભમરા પાડી શકે છે. પુષ્પ પરથી તો ભમરો થોડીવાર પછી ઉડી જાય છે પણ રોટલી નો ભમરો ક્યારેય ઉડતો નથી.આવી પરિસ્થિતિમાં આ સાખી યાદ આવે...

" હંસા પ્રીતિ કાય કી,વિપત પડે ઉડી જાય.

 સાચી પ્રીત શેવાળ કી, જો જલ સંગ સુખ જાય.

    એવુ જ કઈક બંધન રોટલી અને ભમરાનું છે. રોટલી ના છેલ્લા ટુકડા સુધી તે રોટલીને છોડતો નથી. જ્યારે રોટલીનું અસ્તિત્વ મટે છે ત્યારે જ તે ભમરા નું અસ્તિત્વ મટે છે. આમ રોટલીના ભમરાની વફાદારી લાજવાબ હોય છે. અને ભમરવાળી રોટલી બનાવનાર પણ લાજવાબ હોય છે.

     આ રીતે ભમરા વાળી રોટલી ખાઈ ખાઈને પરણિત પુરુષો નો સ્વભાવ ભમરા જેવો થઈ જાય છે પછી તે ઊડીને બીજાના બગીચામાં ઘૂસી જાય છે. માટે પરિણીત બહેનોએ રોટલીમાં ભમરો ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. પતિ ઘણીવાર કહેતો હોય કે રોટલીમાં ભમરો ન પડે તેનું ધ્યાન રાખ. છતાં ભમરાનો નાશ થતો નથી. આ રીતે સતત પુનરાવર્તિત થતો ભમરો છેવટે પતિના હ્રદય માં એક એવી લાગણી પેદા કરે છે અને પતિ માનવા લાગે કે આપણા ભાગ્યમાં જ ભમરો છે ત્યાં રોટલીના ભમરાની  ક્યાં કરવી. વળી ભમરા બાબતે પતિ વારંવાર પુષ્પાને ટોકતો હોવાથી પત્નીને પણ એવું  જ ફિલ થાય કે મારા ભાગ્યમાં જ ભમરો છે તો ભોગવવાનું જ રહ્યું.આમ લગ્ન પહેલા "પુષ્પના ભમરા" જેવો લાગતો પતિ લગ્ન પછી "ભાગ્યમાં ભમરો" હોય એવો લાગવા માંડે છે. ઘણા લોકો આવી લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરી નાખે છે જ્યારે કેટલાક સંયમી નર-નારીઓ બોલતા નથી પણ અનુભવ તો એમનો પણ એ જ હોય છે. ભાગ્યમાં ભમરો છે એવો વસવસો પરણેલા વ્યક્ત કરે એ તો ઠીક પણ વાંઢા ય વિલાપ કરતા હોય છે. કારણકે તેઓશ્રી જ્યાં કન્યા જોવા જાય ત્યાં કાં તો સામેથી ના આવે, કાં તો કોઈને કોઈ અડચણ ઊભી થાય એટલે વાંઢાની નજર સામે ઘોડો હોવા છતાં તેને ઘોડે ચડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. ત્યારે તે પણ વામ્ભ એકનો નિસાસો નાખીને બોલે કે આપના  ભાગ્યમાં જ ભમરો છે બાકી ગામમાં ઉઘાડા પગે આંટા મારનારા ય ડાળે વળગી ગ્યા છે. અને આપણે હજુ બાવનમેં વર્ષે  ય  ઠેકાણું શોધીએ છીએ.

      ભાગ્યમાં કોઈ ગ્રહો અવરોધરૂપ હોય તો  તે ગ્રહના જપ કરી કરાવીને  'એકસો એકાવન  ટકા ગેરંટીવાળા જ્યોતિષીઓ'  તેનું નિવારણ કરી આપે છે પણ ભાગ્યમાં ભમરો હોય તો તેના નિવારણનો કોઈ ઉપાય  કોઈ જ્યોતિષી પાસે હોતો નથી. વળી જાતકની કુંડળીમાં કયા કયા ગ્રહો છે તે જોઈ શકાય છે પણ તેની કુંડળીમાં ભમરો છે કે નહીં તે ક્યાંય જોવા મળતું નથી. જેમ કોરોનાનો વાયરસ ઘણીવાર સીટી સ્કેન કરાવવા છતાં દેખાતો નથી  તેમ ભાગ્યનો ભમરો ખેરખાં જ્યોતિષીઓની કુંડળીમાં પણ  દેખાતો નથી. છતાં હેરાન તો કરે જ. 

       આ બધામાં 'ચોથા પ્રકારનો ભમરો' એકદમ વિશિષ્ટ છે તે જાતકમાં હોવા છતાં તેને દેખાતો નથી. જ્યારે બીજા લોકો કહેતા હોય કે "ફલાણાને ભમરો છે!" વળી  તે લોકો ભમરાનું સરનામું પણ આપતાં હોય છે. છતાં  ફલાણાને તે ભમરો દેખાતો નથી. આમ "ભાગ્યનો ભમરો"  અને "ચોથા પ્રકારનો ભમરો"  બંને હોવા છતાં દેખાતા નથી. દેખાતો ભમરો સારો પણ આ  અદ્રશ્ય ભમરો વસમો.


ગરમ ગરમ:- એક કથામાંથી સાંભળેલુ "કમળ" નું દ્રષ્ટાંત….. "કમળ" માંથી પોતાને સુખ મળશે, આનંદ મળશે એવા વિચારે ભમરો 'કમળ' ના મોહમાંને મોહમાં કમળની અંદર જઈને બેસી રહે છે. સાંજ પડતાં કમળ ની પાંદડીઓ બીડાવા લાગે છે. છતાં ભમરો કમળ પ્રત્યે મોહાંધ બની તેને છોડતો નથી. અંતે 'કમળ 'ની પાંદડીઓ બંધ થઈ જાય છે ભમરો કમળમાં કેદ થઇ જાય છે. અને છેવટે તે ગૂંગળાઈને "કમળ" માં જ મૃત્યુ પામે છે.(બોધ:- કોઈનો અતિશય મોહ ન રાખવો. અમુક હદ પછી તેને છોડતા પણ શીખવું જોઈએ.)

                   --- નટવર પંડયા.

મોબા નં. 8530669907

(હાસ્યલેખ દર્પણ પૂર્તિ, ગુજરાત મિત્ર. )

Thursday 30 March 2017

ધોતિયું ધારણ કરવાનાં ધારા-ધોરણો



          એક સુંદર યુવતી બસમાં ચડતી હતી. બરાબર તેના પાછળના પગથિયે ધોતિયું પહેરેલા એક વડીલ પણ બસમાં ચડતા હતાં. એકાએક વડીલે બૂમ પાડી, “બહેન, હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો ન થવાની થશે !” યુવતીએ ફરીથી પગથીયું ચડવા પગ ઉપાડ્યો. વડીલે ફરીથી બુલંદ સ્વરે બૂમ પાડી, એ જ ચેતવણી આપી. યુવતી અટકી ગઈ અને ખીજાઈને બોલી, “હું આગળ પગલું ભરું તેમાં તમને શો વાંધો છે, ક્યારના બૂમો શું પાડો છો ! હું તો આ ચાલી.”
ત્યારે વડીલે ખુલાસો કર્યો કે, “બહેન, મારું ધોતિયું તમારા સેન્ડલમાં ભરાઈ ગયું છે. હવે તમે આગળ વધશો તો હું શુકદેવજી સ્વરૂપ થઈ જઈશ .”
          ટૂંકમાં ધોતિયું પહેરનારે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધોતિયું ક્યાંય ભરાઈ ન જાય અથવા પોતે ક્યાંય ભેરવાઈ ન જાય. નરવસ્ત્રોની દુનિયામાં ધોતીયાએ વરસો સુધી એકચક્રી શાસન કર્યું છે. કારણ કે ધોતિયું કોઈપણ સંજોગોમાં સાનુકુળ વસ્ત્ર છે. આમ છતાં ધોતિયાની મોનોપોલી તૂટી રહી છે. આ વાત પેલા રોકડિયા ગીતોમાં પણ વ્યક્ત થાયછે કે, “મારે પેન્ટવાળાને પૈણવું’તું, ધોતિયવાળો ગમતો નથી.” જોકે, હવે એનાથી આગળ વધેલા ગીતોમાં એમ પણ ગવાય છે કે, “મારે 4G વાળાને પૈણવું’તું, 2G વાળો ગમતો નથી.” જો કે હવે તો યુવાન પાસે 3G હોય કે 4G પણ પૈણવા માટે તો દીકરીના બાપને આજીજી કરવી પડે છે.
          ખેર...આપણા દેશમાં વૈદિક યુગથી માંડીને છેકે બ્રિટીશશાસન સુધી ધોતિયાની બોલબાલા રહી છે. કારણ કે ધોતિયાને ખરીદીને ધારણ કારો ત્યાં સુધીમાં વચ્ચે ક્યાંય દરજી આવતો નથી. ધોતિયું ફેક્ટરીથી ડાયરેકટ શરીર સુધી આવી જાય છે. દિવાળી વખતે અન્ય કપડાની ખરીદી બહુ વહેલી કરવી પડે છે પણ ધોતિયું તો તમે દિવાળીની રાતે ખરીદીને પહેરી શકો છો. વળી આજ સુધીમાં રેમન્ડ, દિગ્જામ કે, ઓન્લી વિમલ જેવા બ્રાન્ડેડ ધોતિયા બજારમાં આવ્યા નથી. વળી પાર્ટીવેર ધોતિયું કે, ફોર્મલ ધોતિયું એવા કોઈ પ્રકાર નથી. આમ ધોતિયું ફોર્મલ છે અને નોર્મલ પણ છે.
          ધોતિયામાં ક્યાંય વચ્ચે દરજી ન આવતો હોવાથી જ એ પહેરવું મુશ્કેલ છે. ત્યારે જ આપણને દરજીનું મૂલ્ય સમજાય. કારણ કે, નવોદિત ધોતિય ધારકો માટે ધોતિયું પહેરવું જ નહિ પરંતુ સાચવવું પણ અઘરું છે. તેથી જ કોઈ વ્યક્તિએ જયારે પ્રસંગોપાત ધોતિયું પહેરવાનો વખત આવે છે ત્યારે જે રીતે આર્યનારી પોતાના ચારિત્ર્યનું જતન કરે છે એ રીતે ધોતિય ધારક ધોતિયાનું જતન કરે છે. નહિ તો ગમે ત્યારે ધોતિયાનું પતન થઈ શકે છે. કારણ કે, ધોતિયું પહેરો ત્યારે પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય છે. તેથી જ પ્રસંગોપાત ધોતિયું પહેરનારનો એક હાથ તો હંમેશા ધોતિયાને ધોરણસરની સ્થિતમાં રાખવામાં જ રોકાયેલો હોય છે. કારણ કે વખત આવ્યે સામી છાતીએ લડવા જવું સહેલું છે પણ ધોતિયું પહેરી સામા પવને ચાલવું બહું અઘરું છે. પવન સુસવાટા મારતો હોય અને જાતકે ધોતિયું પહેરીને સામા પવને ચાલવું જ પડે તેમ હોય ત્યારે જાતકની સ્થિતિ ‘ચૂંદડી ઓઢું ઓઢું ને ઉડી જાય’ જેવી હોય છે.
          કહેવાય છે કે ‘કફન મેં જેબ નહિ હોતી ઓર ધોતી મેં ચેઈન નહિ હોતી.’ જોકે એ જ સૌથી મોટી સમસ્યા છે. ધોતિયામાં ચેઈન નથી હોતી. કારણ કે કફન તો માણસે એક વાર જ ઓઢવાનું હોય છે. વળી ઓઢ્યા પછી પણ તેને સરખું જાળવવાની જવાબદારી ઓઢનારની નથી હોતી. પણ ધોતિયામાં તો સંપૂર્ણ જવાબદારી ધોતિયધારકની હોય છે. કહેવાય છે કે, ‘ગોર-મહારાજ લગ્ન તો કરાવી દે પણ સંસાર ન ચલાવી દે.’ એવું ધોતિયમાં છે. ગોર-મહારાજ ધોતિયું પહેરાવી દે પણ ધોતિયા પર કાબુ રાખવાની સંપૂર્ણ જવાબદારી ધોતિયાધારકની હોય છે. એમાં શાસકપક્ષ પોતાની નિષ્ફળતા વિરોધ પક્ષ પર ઢોળે એવું થઈ શકતું નથી. કેટલીક વાર સ્થિતિ એવી થાય છે કે ધોતિયા પર કાબૂ રાખવામાં જ જાતક બેકાબૂ બની જાય છે. કાયમી ધોરણે ધોતિયું પહેરતા હોવ તો વાંધો ન આવે પણ ક્યારેક પ્રસંગોપાત ધોતિયું ધારણ કરવાનું હોય છે એટલે જ બધી બબાલ થાય છે. કહેવાય છે કે ભારતમાં બાદશાહને હાથી પર બેસાડવામાં આવ્યો અને હાથીને ચલાવવા મહાવત બેઠો. મહાવતે જેવો હાથીને ચાલતો કર્યો કે તરત બાદશાહે કહ્યું કે, ”લાવ હાથીને હું જ ચલાવું.” ત્યારે મહાવતે કહ્યું, “હાથી કેમ ચલાવવો તે તમને ન આવડે, એ તો અમે મહાવત જ ચલાવી શકીએ.” આ સાંભળી બાદશાહ તરત હાથી પરથી નીચે ઉતરીને બોલ્યો., “જે પ્રાણીને હું મારી મરજી મુજબ ન ચલાવી શકાતો હોવ તેના પર હું કદાપી સવારી નહિ કરું.’ પણ ધોતિયા બાબતે આપણે એવું કહી શકતા નથી કે “જે વસ્ત્ર હું જાતે પહેરી શકતો ન હોવ તે વસ્ત્ર હું કદાપી ધારણ નહિ કરું.” પ્રસંગ આવ્યે એ તો પહેરવું જ પડે છે. કોઈ વિધિ , હોમ-હવન, યજ્ઞ, શ્રાદ્ધ કે નારાયણ બલી જેવા પ્રસંગોએ જાતકે ધોતિયું પહેરવું જ પડે છે. કેટલીક વાર તો પુરોહિત્જીના કહેવા મુજબ યજમાને જયારે પિતૃદોષનિવારણ વિધિ વખતે ધોતિયું પહેરવું પડે છે. તેમાં પિતૃઓનું ટેન્શન તો દૂર થવું હોય ત્યારે થાય પણ જ્યાં સુધી વિધિ ચાલે ત્યાં સુધી યજમાનને ધોતિયાનું ટેન્શન ભારોભાર રહે છે.
          આજ સુધી પ્રસંગોપાત ધોતિયું પહેરનાર કોઈ એવો ધોતિય ધારક તમે નહિ જોત્યો હોય કે તેને એવો ગળા સુધી વિશ્વાસ હોય કે આ ધોતિયું પહેર્યા પછી સાંજ સુધી ટકી રહેશે. જેમ અપક્ષોની ટેકે ટકેલી સરકારને સતત ટેન્શન હોય છે કે આપણી સરકાર ગમે ત્યારે ભાંગી પડશે. એ જ રીતેપ્રસંગોપાત ધોતિયું પહેરનારને સતત એ ટેન્શન રહે છે કે આ ધોતિયું ગમે ત્યારે દગો દેશે. ભલે જાતકનું ધોતિયું ઢીલું ન હોય છતાં તેનો જીવ તો ધોતિયે જ ચોંટ્યો હોય છે. જયારે ‘ધોતિયે’ ઢીલા એવા ગુરૂઓ, બાપુઓ, સ્વામીઓને ધોતિયાનું ટેન્શન લેશમાત્ર હોતું નથી. જયારે કોઈ વિધિ ઉભા ઉભા કરવાની હોય અને ગોર-મહારાજ કહે કે, “હવે તમારા બંને હાથ જોડી રાખો અને હું કહું ત્યાં સુધી જોડેલા જ રાખજો !” ત્યારે જાતક હાથ જોડતા પહેલા બંને હાથ વડે ધોતિયાની સ્થિતિ ફરી એક વાર મજબૂત કરી લે છે. જયારે જયારે તે આમ ધોતિયા પર હાથ નાખે છે. ત્યારે ત્યારે તેને “કંઈક ગરબડ થય છે એવો ભાસ થાય છે.. કેટલીક વાર ધોતિયું સ્થાનભ્રષ્ટ થઈ નીચે ઉતરી ગયું હોય એવું લાગે છે. એટલે તે ગોર-મહારાજની આજ્ઞા મુજબ હાથ જોડતા પહેલા ધોતિયાને જરા ઉપર ખેંચી મૂળ સ્થાને લાવે છે. કેટલીક વાર ધોતિયાની ગાંઠને જરા કસીને ફરીથી ટાઈટ કરી લે છે. આમ ધોતિયાનું પણ તબલા જેવું હોય છે. જેમ કોઈ કાર્યક્રમમાં એકાદ કલાક સંગીતનો કાર્યક્રમ ચાલ્યા પછી વચ્ચે થોડો રેસ્ટ આવે એટલે તરત જ તબલાવાદકને થાય છે કે તબલું જરા ઉતરી ગયું છે. એટલે તેની ચારે બાજુ ટકોરા મારીને તબલું ચડાવે- એવું જ ધોતિયાનું છે. દર અડધા કલાકે ધોતિયધારક ધોતિયાને ધોરણસરની સ્થિતિમાં રાખવાના પ્રયત્નો કરતો રહે છે.
          નવા જાતક માટે ધોતિયાનું સૌથી મોટું ભયસ્થાન છે ધોતિયાની ગાંઠ ! કેમેય કરીને તેને ધોતિયાની ગાંઠ પર શ્રધ્ધા બેસતી નથી અને જ્યાં સુધી ગાંઠ પર શ્રધ્ધા બેસતી નથી ત્યાં સુધી ભગવાનમાં પણ શ્રધ્ધા બેસતી નથી. કારણ કે તેનો જીવ ગાંઠે જ વળગેલો હોય છે. તેને થાય છે કે પ્રિયતમા સાથે બબ્બે ત્રણ ત્રણ વરસ સુધી બંધાયેલી પ્રેમની ગાંઠ પણ છૂટી જાય છે, સગા-સંબંધીઓ સાથેની વરસો સુધી સંબંધોની જૂની ગાંઠ પણ છૂટી જાય છે. તો આ ધોતિયાની ગાંઠનો શો ભરોસો! એટલે જ તે વારંવાર ગાંઠની વફાદારીને ચકાસતો રહે છે. જાતક આટલેથી જ અટકતો નથી. ધારો કે ધોતિયાધારી યજમાને અખો દિવસ હવનમાં હાજરાહજૂર રહેવાનું હોય ત્યારે તેમાં બપોરે ફરાળ માટે રીસેસ પડે અને તે ફરાળ માટે રસોડામાં જાય ત્યારે ફરી એક વાર પેલી ગાંઠને આખે આખી છોડી તેને વધુ ટાઈટ બાંધી નિર્ભય બની જાય છે. પણ આ નિર્ભયતા ઝાઝું ટકતી નથી. કેટલાક જાતકો આવા રીસેસ ટાઇમ દરમિયાન ખુદ ગોર-મહારાજને બોલાવીને ધોતિયાધારણની વિધિ ફરીથી એકડે એકથી કરાવે છે. અને ધોતિયાને પોતાની જરૂરિયાત મુજબ ઢીલું કે ટાઈટ કરાવે છે.
          પ્રસંગોપાત ધોતિયું પહેરવાનું થાય ત્યારે તેને પહેરાવનારની જરૂર પડે છે. આવો ધોતિયું પહેરાવનાર એવો હોવો જોઈએ કે જેના પર જાતકને અપાર શ્રદ્ધા હોય. વળી ધોતિયું પહેરાવનાર પોતાના કાર્ય પ્રત્યે પૂરે પૂરો ગંભીર હોવો જોઈએ નહિ તો તેના માઠા પરિણામો ધોતિયું પહેરનારે ભોગવવા પડે છે. એમ તો પ્રસંગોપાત ટાઈ પહેરવાની, કોઈ પણ પ્રસંગે સાફો બાંધવાની જરૂર પડે ત્યારે તજજ્ઞોની જરૂર પડે  છે. આપણને જાતે ટાઈ બાંધતા કે સાફો બાંધતા ફાવતું નથી. આમ છતાં તેમાં બહુ ટેન્શન હોતું નથી. ધારોકે સાફાનો કર્તા પોતાના કાર્ય પ્રત્યે પૂરેપૂરો ગંભીર ન હોય તો બહુ બહુ તો માથા પરથી સાફો પડી જાય કે ડોકમાંથી ટાઈ નીકળી જાય. તેથી લોકો કદાચ થોડું ઘણું હસે. પણ જો ધોતિયામાં આવું થાય તો ફજેતો થઈ જાય. તેથી જે કઈ પણ થોડી ઘણી આબરૂ બચી હોય તેના પણ કાંકરા થઈ જાય. જોકે ધોતિયાની દુર્ઘટનાને આબરૂ સાથે કઈ લેવા દેવા નથી. આમ છતાં લોકોએ તેને આબરૂ સાથે જોડીને તેની ગંભીરતા વધારી દીધી છે. આ દુર્ઘટના નજરો નજર નિહાળનાર લોકો કદાચ એવું બોલે કે આ સાલો પોતાનું ધોતિયું સાચવી શકતો નથી એ સંસાર કઈ રીતે સાચવશે.
          કોઈ દુકાને આપણે શાલ ખરીદવા જઈએ ત્યારે દુકાનવાળો આપણને પૂછે છે કે તમારે પોતાના માટે જોઈએ છે કે કોઈને ઓઢાડવાની છે. તેમાં પણ ટોપી જેવું છે. જેમ ટોપી પહેરવાની અને પહેરાવવાની જુદી જુદી હોય છે, એ રીતે ઓઢાડવાની શાલ ઘણી સસ્તી, આછી અને વધુ ચમકદાર હોય છે. એ જ રીતે દુકાને ધોતિયું ખરીદવા જઈએ ત્યારે દુકાનદાર પૂછે છે કે તમારે પોતાના માટે જોઈએ છે કે ગોર-મહારાજને આપવાનું છે. આપને કહીએ ગોર-મહારાજને આપવાનું છે. તો એ ધોતિયું પ્રમાણ માં સસ્તું અને કંઇક અંશે પારદર્શક હોય છે. તેથી આવું ધોતિયું પહેરી જાતકે સવાર સાંજ સૂર્યપ્રકાશમાં ઉભા રહેવું હિતાવહ નથી.
          કેટલાક વિધિ વિધાન વખતે ધોતીયાભેર નદીમાં સ્નાન કરવાનું હોય છે. ત્યારે પણ જાતકની કસોટી થાય છે. કારણ કે ધોતિયાને પાણી અને પવન સાથે બહુ બનતું નથી. જો એ વખતે પાણીમાં ઉભા રહીને બંને હાથે પૂજા કરવાની હોય અને એકય હાથ નવરો ન હોય ત્યારે ધોતિયું પોતાની નૈતિક ફરજ ચુકીને પાણીની સપાટી પર તરવા લાગે છે. અલબત તેને જાતક સાથે સાવ છુટાછેડા લીધા હોતા નથી. પણ અહી ધોતિયું રિસાઈ ને પિયર ચાલી ગયેલી પત્ની જેવી ભૂમિકામાં હોય છે. તે જાતક સાથે બંધાયેલું હોવા છતાં જાતકથી ઘણું દૂર હોય છે. આ રીતે તે દૂર રહીને જ પત્નીની જેમ પોતાનું મુલ્ય સમજાવે છે. અનુભવી લોકો પાણીમાં ઉતરતાની સાથે જ ધોતિયાને બે પગ વચ્ચે દબાવી દેતા હોય છે. એટલે થોડી વાર પછી ધોતિયું બળવો કરવાનું છોડી ને શરણે થઈ જાય છે. પણ નવોદિત જાતકો સામે ધોતિયું અચૂક બળવો પોકારે છે. અને બંને હાથ પૂજામાં રોકાયેલા હોય ત્યારે વ્યક્તિ મનોમન ‘મારી પત રાખો ગિરધારી એવું ગાવા લાગે છે.’
          બીજી બાજુ ગમે તેવો પવન ફૂંકાતો હોય છતાં ધોતિયું ધારણ કરી બંને હાથ વડે તમાકું ચોળતા-ચોળતા કોઈ કર્મકાંડી ભૂદેવ ઝડપથી ઉપરાંત મક્કમ ગતિએ પગલા ભરી રહ્યા હોય ત્યારે તે બ્રાહ્મણ પણ આપણને માન થઈ આવે છે. આમ તો પુરૂષોએ કોઈ વસ્ત્ર પહેર્યા પછી કઈ રીતે ઉઠવું, બેસવું તેની તાલીમ લેવી પડતી નથી. પણ નવોદિત ધોતિયા ધારકો માટે આવી તાલીમ જરૂરી છે. કારણ કે જાહેર જનતાના હિતમાં ધોતિયાધારકે ધોતિયું ધારણ કરવાનાં અમુક ધારા-ધોરણો પાળવા જરૂરી બને છે.
  -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com


Saturday 25 March 2017

ચહેરો: વાંચવા જેવી કિતાબ



            પેલું ગીત યાદ હશે, જબ્ભી જિ ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ એક ચહેરે પે કઈ ચહેરે લગાતે હૈ લોગ. અહીં જે ચહેરાની વાત છે તે મુખવટા પહેર્યા વિનાના ચહેરાની વાત છે. માણસ પોતાનાં ચહેરા પર અનેક ભાવો લાવી શકે છે તમને ખબર જ નપડે કે તેની અંદર શું ચાલી રહ્યું છે. એટલે શું છે કે કિતાબ તો જે છપાયેલું હોય તે વંચાવે પણ ચહેરો વાંચતા શીખવું બહુ અઘરું છે ભલભલા તેમાં થાપ ખાઈ જાય. ન માનો તો આં વાચો.એમાં એવાં ન સમજાતા ચહેરા વિશે થોડી સમજ પાડવામાં આવી છે. તમે એ વાંચવું શરૂ કરો, અમે તમારો ચહેરો વાંચીશું.
       રાત્રે બે વાગ્યે મેં અને મારા મિત્ર એક માણસને તેના ઘરમાં હસતો હસતો ચા પિતા જોયો. જેવો ચા પીને બહાર નીકળ્યો ત્યારે તેનું મોઢું દર્શનીય રહ્યું ન હતું. એટલે કે ચડી ગયું હતું. એટલે બગડેલું હતું. મેં મિત્રને પૂછ્યું આમનું મોઢું બગડવાનું કારણ શું? મિત્રે કહ્યું, ચા માટે નું દૂધ બગડી ગયું હશે.
ના, એ તો હસતો હસતો ચા પીતો હતો.
તો પછી એની પત્નીએ વડચકું ભર્યું હશે.
તેની પત્ની તો ઊંઘે છે. ઊંઘતા ઊંઘતા વડચકું ભારે એવી પત્નીને ક્યાંય જોઈ નથી!
તો પછી ચા પીધા પછી મોઘવારીનો વિચાર આવ્યો હશે. અને રાત્રે બે વાગ્યે આ રીતે દૂધ, ચા, ખાંડ બગાડવા બદલ તેમાં ચહેરો બગડ્યો હશે. મિત્ર બોલ્યો.
મેં કહ્યું, એમ પણ નથી.
તો પછી છે શું? તુ બતાવ. મિત્રે મોઢું બગાડીને કહ્યું. અંતે મારે કહેવું પડ્યું કે અત્યારે તેની પાસે બીડી ખલાસ થઇ ગઈ છે.બીડી નથી અને આવડા નાનકડા ગાંમમાં રાત્રે બે વાગ્યે કોઈ દુકાન ખુલ્લી હોય નહિ. તેના માટે તો ચા અને બીડી શોભે. એ જ રીતે એકલી ચા નકામી, બીડીનો ટેકો તો જોઈએ જ. તેથી તેનું મોઢું બગડીને ડાચું થઇ ગયું છે.
તે કેવી રીતે જાણ્યું? મિત્રે પૂછ્યું.
ચહેરો વાંચીને!
ત્યારે મિત્ર આશ્ચર્યચકિત થઈને બોલ્યો, લોકોના ચહેરા વાંચવાનું તું કઈ નિશાળમાં ભણ્યો?
મનુષ્યનો ચહેરો જ એક કિતાબ છે, વાંચવા જેવી.ચહેરાથી આગળ વધીને છેક દિલ સુધી પૂછ્યા-ગાંઠ્યા વગર પહોંચી જનારા વળી દિલને જ એક કિતાબ સમજે છે અને રસપૂર્વક વાંચે છે. (બીજાની) જગજીતસિંઘે ગાયેલી ગઝલમાં પણ કંઈક આવું જ કહ્યું છે... દિલ સે બહેતર કોઈ કિતાબ નહિ. આમ ચહેરો પણ એક કિતાબ છે, પુસક છે. જો વાંચવામાં રસ પડે તો (એટલે તો પુસ્તક મેળામાં પણ કેટલાંક લોકો દિલની કિતાબ વાંચવા જોવા મળ્યા હતા.) જો ચહેરાઓ વાંચવાની કોશિશ કરશો તો તેમાંતી ગહન બાબતો જાણવા મળશે. કોઈનો ચહેરો વાંચીએ અને તે સાવ નંખાઈ ગયેલો લાગે ત્યારે આપણે વિચારીએ કે તે શા માટે ઉદાસ હશે? સૌ પ્રથમ તો એવો વિચાર આવે કે તે કોઈ ભગ્નહૃદયી આત્મા છે અને પ્રેમમાં તેનું ધોવાણ થયું લાગે છે. પણ જો ચહેરો વાંચવાનું લાંબો અનુભવ ધરાવતા હશે તો ખ્યાલ આવશે કે તેનું પ્રેમમાં નહિ પણ શેરબજારમાં ધોવાણ થયું છે. કારણ કે આપણે ત્યાં ઘણા લોકો એવાં છે કે જેમને એક માત્ર શેરબજાર જ ખુશ કે ઉદાસ બનાવી શકે છે. તેથી કેટલાંક ચહેરાઓ જ ખુદ બજાર બની ચુક્યા હોય છે. તેથી બજારમાં થતી વધઘટ સીધી જ ટીવી અને છાપાની જેમ જ તેના ચહેરા પર પણ વાંચવા મળે છે. ઘેર બાળકો અને પત્નીના ચહેરાને તે વાંચી શકતો નથી કારણ કે લાગણીની લીપી વાંચવાની તેને ક્યારેય કોશિશ કરી હોતી નથી. વળી કેટલાંક ચહેરાઓ પર કાયમી ધોરણે ઉદાસી છવાયેલી  હોય છે અને એની સાઈડ ઇફેક્ટ આજુબાજુવાળા સૌને થાય છે. આવા લોકોના ચહેરા એક કરૂણ નવલકથા જેવો હોય છે. એટલે તેને વાંચનાર પણ સરવાળે ગમગીન થઇ જાય છે. ભલભલી મોજ શોખ સભાઓને શોકસભામાં ફેરવી નાખવાની ક્ષમતા તે ધરાવે છે. તેમની ઉદાસી માટે કોઈ કારણ હોતું નથી. ઉદાસી એમના માટે ગોડ ગીફ્ટ હોય છે. અને તે ગીફ્ટ તેમના તરફથી સૌને મળે છે. કેટલાંક ચહેરાઓને દુરથી વાંચતા તે ખુશખુશાલ જણાય છે. પણ એકદમ તેમની નજીક જઈ બિલોરીદ્રષ્ટિથી વાંચીએ તો ખુશ દેખાતા ચહેરા પર ખરેખર ખુશી જણાતી નથી. આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? ખુશીના ખેલ બતાવવા ચહેરા પર ખરેખર ખુશી કેમ નથી? તેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરતા સમજાય છે કે ખરેખર દિલથી ખુશ થયેલો નથી. પણ પુસ્તક મેળામાંથી ખરીદેલું પુસ્તક ખુશ રહેવાના દસ સચોટ ઉપાયો. વાંચીને તેમાંના પહેલાં સચોટ ઉપાય તરીકે તે ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આમ પુસ્તકનો નશો તેના ચહેરા પર સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. આજ કાલ આવા તરત જ નશો ચડે, કીક લાગે તેવા પુસ્તકો ઘણા મળે છે અને તેના પરિણામો ચહેરા પર વાંચવા મળે છે.
        કેટલાંક ચહેરાઓ વિશેષાંકો જેવાં હોય છે. જેમાં હંમેશા કંઈક વિશેષ ભાવો વાંચવા મળે છે. પણ જેમ વિવિધ પ્રકારના વિશેષાંકોથી આકર્ષાઈને વાંચીએ તો ખબર પડે કે આમાં વિશેષ જેવું કશું નથી. પરંતુ જે શેષ બચ્યું હોય છે તે બધું એકઠું કરી તેની ભેળ બનાવી વિશેષાંક તરીકે ચહેરાઓમાં કોઈ વિશેષતા હોતી નથી. તેમની સાથે માંડીને વાત કરીએ તો પણ બધાની જેમ મોંઘવારી અને મંદીના પાટે ચડી જાય છે.
         કેટલાંક ચહેરાઓ હંમેશ ગૂંચવાયેલા, મૂંઝાયેલા લાગે છે. તેમના ચહેરા પર મૂંઝવણના ભાવો વાંચને વાચક પોતે મૂંઝાઈ જાય કે આ ભાઈને શાની મૂંઝવણ હશે? જગતમાં દુઃખ છે તો દુઃખનો ઉપાય છે એવું ભગવાન બુદ્ધે કહ્યું છે. તેથી તેની મૂંઝવણનો ઉપાય બતાવીને આપણે પણ પરમાર્થ કરવા પ્રેરાઈએ છીએ. પણ મહામહેનતે  તેનું મોં ખોલાવ્યા પછી જાણવા મળે છે કે તેની મૂંઝવણ તો સામાન્ય છ પણ હરતા ફરતાં તજજ્ઞોએ તેના જે ઉપાયો બતાવ્યા છે તેમાંથી કયો ઉપાય અજમાવવો એજ તેની સૌથી મોટી મૂંઝવણ છે. જે તેના ચહેરા પર અલગ રીતે વાંચી શકાતી નથી. આવી મૂંઝવણનો વધુ એક સચોટ ઉપાય બતાવીને આપણે તેની મૂંઝવણમાં યથાશક્તિ વધારો કરીએ છીએ.
             કેટલાંક ચહેરા પર શિયાળાની કાતિલ ઠંડીમાં પણ આપણે ઉકળાટના ભાવો વાંચી શકીએ છીએ. આવા ચહેરા જરા ખીજયેલો અને ગરમ દેખાય છે. આમ છતાં તેની નજીક રહેનારની ઠંડી તે દૂર કરી શકતો નથી. પણ તેમનો ઉકળાટ ઘરના સભ્યોને રઘવાયા કરી મૂકે છે. તેથી ઘરમાં બધા રાહ જોતા હોય છે કે તેઓશ્રી વહેલી તકે ઓફિસે કે કામધંધે જવાં માટે વિદાય લે. તો સારું ક્યારેક તેનો ઉકળાટ સામે પત્ની કકળાટ કરે છે ત્યારે ઉકળાટ ઔર વધે છે. પછી તો તેના પર ચાની તપેલી મુકો તો ચા બનવી શકાય એવો ઉકળાટ હોય છે. પણ ઉકળાટ શાંત પાડવા આઠ અનોખા ઉપાયો એવું પુસ્તક હજુ સુધી જોઅવામાં આવ્યું નથી.
        જયારે કેટલાંક ચહેરા ખૂબ ગંભીર હોય છે. ફોન કંપનીની જાહેરાતોના પાટિયાની જેમ તેમના ચહેરા પર ગમે તેટલે દુરથી અને ગમે તે સ્થળ ગંભીરતા વાંચી શકાય છે. અગાઉ પણ લખી ચુક્યો છું કે ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બનાવવાની ચીજ છે. એવાં જાતકના ચહેરા પર ગંભીરતાની ગઝલો વાંચીને આપણા હૈયામાં ઉઠેલી હઝલ વરાળ બનીને ઉઠી જાય છે.તેઓ હંમે તે પ્રસંગે ગંભીરતાને અકબંધ રાખી શકે છે. તેમની ગંભીરતા અને બ્રેકેબલ હોય છે.
          તેઓ હાસ્યના કાર્યક્રમો પણ ગંભીરતાથી સાંભળે છે એમ નહિ પણ કાર્યક્રમ દરમિયાન ગંભીરતાને જાળવી રાખે છે. હાસ્ય લેખક કે કલાકાર તેનું કામ કરે છે. પોતાનાં વક્તવ્યોમાં પણ તેઓ ગંભીર બોધ કરે છે. તેમના બોધ પછી આખી સભાના ચહેરા પર ગંભીરતા વાંચવા મળે છે. પણ તેમાં કેટલાંક લોકો મૂછમાં કે હોઠમાં હસતા હોય છે. ખરેખર તો એ ભાવો વાંચવા જેવાં હોય છે. જો વાંચતા આવડે તો! અને ફિલ્મવાળા ભલામણ કરે છે કે દિલકો દેખો ચહેરા ન દેખો... આપણે શું કાંઈ એક્સ-રે મશીન છીએ!    
              -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ગળગળા થઇ જવું !




               ગળગળા થવું એટલે શું તે અંગ્રેજોને પૂછો તો ખરેખર આવ્યા હોય તેવું મોઢું કરી પૂછનારને જ ગળે પડી પૂછે. તેમજ કહોને આ ગળગળા થવું એટલે શું? ગળગળા થવામાં એક્સપર્ટ તો આપણા લોકો જ! અમુક લોકો તો કોઇપણ વાત વગર ગળગળા થઇ જાય. કેટલાંક લોકો ગળગળા થવાના કૌશલ્ય આધારે પોતાનો બચાવ પણ કરી લે. ગળગળાના આવા કલાબાજો વચ્ચે સચેસાચ ગળગળા થનારા પણ હોય છે. શું કહેવું આ બધા વિશે? ઓહ, હમણા તમે રહેવા દો.
             ગળગળા થઇ જવાં બાબતે લોકોમાં બે પ્રકાર છે. પહેલાં પ્રકારના લોકો ધારે ત્યારે ઈચ્છે તેટલા ગળગળા થઇ જાય છે. જયારે બીજા પ્રકારના લોકો ક્યારે ગળગળા થઇ જાય કાંઈ કહેવાય નહિ. આમ છતાં ગળગળા તહી જતા આવડવું ખૂબ જરૂરી છે. પણ તેનાથીય વધારે અગત્યનું છે ગળગળા થઇ જવાં પર પુરતો કાબુ હોવો તે જ લોકો જયારે અને જેટલા પ્રમાણમાં ઈચ્છે તેટલા ગળગળા કરી શકે છે. અને એક વાર જો સામેવાળાને ગળગળા કરવાનું ફાવી ગયું તો ગળગળા થવાના સુખદ પરિણામો જાતક મેળવી શકે.
       ગુજરાતી કે જૂની હિન્દી ફિલ્મોમાં જયારે હીરો કે હિરોઈન વિલનના હુમલાઓને ન ખાળી શકે ત્યારે તેઓ ગળગળા થઇ શસ્ત્ર ઉગામતા જે મુદે કોર્ટમાં જવાનું હોય તે મુદ્દે હીરો હિરોઈન અથવા તેના ફિલ્મી માતા-પિતા સીધા જ મંદિરે જઈ છાશવારે ગળગળા થઇ જતા જોવા મળે છે. એ લોકો મંદિરમાં ગળગળા થાય એટલે ટોકીઝમાં બેઠેલા એંસી ટકા ગળગળા થઇ જાય અને તેમાંથી પચાસ ટકાના ખિસ્સામાંથી તો રૂમાલ બહાર નીકળી આવે છે. હા, ગળગળા થવું હોય ત્યારે હાથ રૂમાલ ખાસ જરૂરી છે. ટોકીઝમાં ગળગળા ન થયેલા બાકીના વીસ ટકા પણ ગળગળા થવા મચી રહ્યા હોય છે. પણ એ લોકો પૂરતો રીયાઝ કરતા હોવાથી ગળગળા થઇ શકતા નથી. જયારે કેટલાકને એજ સમજાતું નથી કે આ ગુજરાતી ફિલ્મની હિરોઈનની માતા શા માટે મંદિરમાં આવીને આટલી બધી ગળગળી થઇ ગઈ છે. પછી જયારે તેણે એ વાતની કરુણતા સમજાય છે ત્યારે જાતક બે મુદ્દે ગળગળો થઇ જાય છે. એકતો હિરોઈનની માતા ગળગળી થઇ ગઈ છે માટે એને બીજું પોતે આટલી કરૂણ વાત પણ ન સમજી શક્યો તે માટે પછી તેનું ગળગળાપ રોમેન્ટિક કે કોમેડી સીન શરૂ થાઉં જાય તો ય હટતું નથી છેવટે તે ઇન્ટરવલમાં એકાદ બીડી જલાવે કે પાન મસાલો ખાય ત્યારે પરિસ્થિતિ થાળે પડે છે.
          રસ્તામાં, બસમાં, બગીચામાં કે સેમિનારમાં ગળગળા થવા કરતા મંદિરમાં ગળગળા થઇ જવું વધારે સારું કારણ કે ત્યાં આપણે ભક્ત કે હરિના દાસ માં ગણાઈ જઈએ. પણ જો આપણને ટ્રાફિક પોલીસ રોકીને રૂપિયા સાડા સાત સો નો દંડ ફટકારે ત્યારે આપણે મંદિરમાં થયાં હતા એટલા જ કદાચ તેનાથીય વધુ ગળગળા થઇ જઈએ ભક્તમાં ગણાતા નથી અને સામેવાળો નાગરિક કેટલો ગળગળો થયો છે તેની માત્રામેળ મુજબ સપ્રમાણમાં દંડ ફટકારે છે. (જેમ ગળગળો વધુ તેમ દંડ વધુ સપ્રમાણ) હા, એ લોકો નાગરિકને સંભાળતા જ નથી એવું નથી. નાગરિક ગળગળો થઈને જે નિવેદન કરે છે તે નિવેદન પોલીસ જુદી દિશામાં મોં રાખી નાગરિકથી વિમુખ થઇ, હાથમાં પાનું વાળેલી રસીદ બુક અને પેન સાથે સાંભળે છે. નિવેદન પૂરું થાય એટલે તરત જ તેઓ નામ, નંબર નોંધી ને રસીદ પકડાવી દે છે. આ રીતે તેમની સામે નાગરિકોને ગળગળા થતા જોઈને તેમની ફરજ નિષ્ઠા ઝળહળી ઉઠે છે.
         કેટલાંક લોકો એવાં પણ છે જે ક્યારે ગળગળા થઇ જાય કાંઈ કહેવાય નહિ. હજુ બે મિનિટ પહેલાં તો તેમના ચહેરા પર ખુશીની ચમક દેખાતી હોય અને પછીની ક્ષણે વાતાવરણમાં અણધાર્યો પલટો આવી જાય અને તેઓ ગળગળા થઇ જાય. હાલમાં મોઘવારીના મુદ્દે ગળગળા થઇ જવાની અને બીજાને કરી મુકવાની મૌસમ ચાલે છે. આ રીતે ગળગળા થઈને તેઓ બોલી ઉઠે છે. શાકભાજીનું તો નામ નથી લેવાતું! ખાવું શું? આમ કહી તેઓ એટલા ગળગળા થઇ જાય છે કે આપણને શાકમાર્કેટમાંથી સીધા જ સ્મશાનમાં જતા રહેવાનું મન થાય. જોકે તેઓ તો શાકભાજીની થેલી ભરીને જ ઘરે જાય છે.
            જયારે કેટલાંક લોકોને ભગવાને ચહેરા જ એવાં આપ્યા હોય છે કે કોઇપણ પરિસ્થિતિમાં તેઓ ગળગળા થઇ ગયા હોય એવાં જ લાગે. કોઈના લગ્નમાં માંડવે તેઓ પ્રથમ હરોળમાં સ્થાન પામ્યા હોય તો પણ તેઓ ગળગળા થઈને જ બેઠા હોય છે. એટલે સામેવાળા માણસ તો તેણે જોઈને જ ગળગળો થઇ જાય. પછી તેણે ખુશીના સમાચાર આપવા હોય તો પણ માંડી વાળે. અને પેલા ગળગળા ચહેરાવાળા તરફથી કોઈ ખુશીના સમાચાર મળવાના હોય તો તે ગળગળા ફોર્મમાં જ મળે.
            કેટલાકના હૃદયમાં એવાં હોય છે કે તેઓ બાહરના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપી શકે છે. એટલે કે તેઓ ઓર્ડર મુજબ ગળગળા થઇ શકે છે. આવા લોકો જાણે જરૂર પડ્યે ગળગળા થવાનો વાલ્વ ખોલે છે. અને તરત જ તેઓ ગળગળા થઇ જાય છે અને વાલ્વ બંધ કરે એટલે એકદમ સ્વસ્થ. આ પ્રકારના હૃદયો આપણા નેતાઓ ધરાવે છે. ચૂંટણી સમયે તેઓ ઘણીવાર જાહેરમાં ગળગળા થઇ જાય છે. અને ચૂંટાયા પછી ગળગળા થવાનો વારો જનતાનો હોય છે. કુશળ કથાકારો પણ આ રીતે એકના એક પ્રસંગ પર અનેક વાર ઈચ્છે ત્યારે ગળગળા તહી શકે. એવી એમના પર પ્રભુની કૃપા દ્રષ્ટિ હોય છે. કવિ હૃદયો પણ કેટલીકવાર તેનાથી ઊલટું બને છે. મૂળ વ્યક્તિ કરતા અનેકઘણો ગળગળો થઈને તેના સુરમાં સુર પુરાવે તેથી પરિસ્તિતિ એ થાય કે જેણે આશ્વાસન મેળવવાનું હતું તે આશ્વાસન આપનારની ભૂમિકામાં આવી જાય છે. કોઈના દાદા પંચમહાભૂતમાં ભળી ગયા હોય તો ત્યાં ખરેખર જનારની ફરજ એ થાય કે દાદા જેમને વિલાપ કરતા છોડી એટલું રૂદન કરે કે જેમ શાસ્ત્રીય સંગીતકાર સ્વરઘૂંટે એમ વારંવાર તાન, મુર્કી લઈને તેઓ વિલાપનો આલાપ એટલો બધો ઘૂંટે કે જેમના દાદા સ્વર્ગસ્થ થયાં છે એ લોકો આમને આશ્વાસન આપવા લાગી જાય.
              વળી જરા અજાણ્યા લોકો અને દુરના સગાઓને તો ખબર જ ન પડે કે દાદા કોના ગુજરી ગયા છે!
           એટલે આમ ગળગળા થવામાં તો કેટલીકવાર તો બંને પક્ષોની મૂળ ભૂમિકા જ બદલાય જાય છે. જયારે ગળગળા થવું જેમને સહજ છે. એવાં લોકોને વક્તાઓ કોઇપણ વિષય વગર પણ વક્તવ્ય આપી શકે છે. એજ રીતે આ લોકો  કોઇપણ જાતની વિષય વાસના વગર મનમુકીને ગળગળા થઇ શકે છે. એમણે તો બસ વિષય હો શ્રધ્ધાનો તો પુરાવાની જરૂર શી! આ લોકો વિષય મુક્ત રહીને પણ એટલા બધા ગળગળા થઇ જાય છે કે અન્ય લોકો તેણે પૂછવાનીય હિંમત નથી કરી શકતા કે ભાઈ તમે આટલા બધા ગળગળા કેમ થઇ ગયા? આ રીતે જેઓ કોઇપણ પ્રકારના વિષય વગર જ ગળગળા થઈશકે છે તેઓ લોકહૃદયમાં મૂકી ઊંચેરું સ્થાન મેળવી શકે છે.
           ગરમાગરમ:        
          કોઈ એક વ્યક્તિના દાદા સ્વર્ગસ્થ થયાં એટલે ત્યાં મોઢે આવેલ વડીલે આશ્વાસન આપતા કહ્યું, દાદા બે વરસ બેઠા હોત તો સારું હતું. પેલા ભાઈએ કહ્યું, -હા, બેઠા હોત તો આ પાંચ વિદ્યા છે એ પણ વેચાઈ જતે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...